મનની શાંતિ
શાંતિ એ બહુ વ્યક્તિલક્ષી બાબત છે અને તેની પરિભાષા લગભગ બધાની સરખી જ છે.મોટા ભાગના આપણે બધા શાંતિને ભૌતિકતા માં જ શોધીએ છીએ અને અંતે ભૌતિકતા માં સુખ-શાંતિ શોધીને એટલા તો કંટાળી જઈએ છીએ અને થાકી જઈએ છીએ પછી આપણને એવું લાગે છે કે આમાં શાંતિ નથી અથવા તો આપણે જે વ્યવસાયમાં છીએ તે પણ કંટાળાજનક લાગવા માંડે છે.
જ્યારે આપણે રોજીંદા જીવનથી થાકી જઈએ છીએ ત્યારે આપણને પ્રકૃતિ યાદ આવે છે, ત્યારે આપણને એવું લાગે છે કે હવે આપણો થાક પ્રકૃતિ જ ઉતારી શકે એમ છે.આપણે કેમ એવું માનીએ છીએ કે પ્રકૃતિ પાસે જઈને હળવાશ કે મનની શાંતિ મળશે? જ્યારે આપણે જીવનમાં કામના બોજથી થાકી જઈએ છીએ ત્યારે પૈસા ખર્ચીને ક્યાંક દૂર પ્રકૃતિ ને માણવા જઈએ છીએ પણ ત્યારે આપણે કેમ એ પ્રકૃતિને અહીં વિકસાવવા નથી માંગતા? જ્યાં સુધી આપણે પર્યાવરણનું રક્ષણ નહિ કરીએ ત્યાં સુધી એ અલગ અલગ રીતે હોમાતી રહેશે અને અંતે તો જ્યાં પ્રકૃતિ છે તે પણ આપણા હાથો દ્વારા નષ્ટ થઈ જશે.પછી આપણે ક્યાં જશું હળવા થવા?
મનની શાંતિ એટલા માટે વ્યક્તિલક્ષી છે કારણ કે આપણે તેને આપણી આસપાસ રહેલી વસ્તુમાં શોધીએ છીએ તેને ક્યારેય આપણા મનમાં શોધવાનો પ્રયાસ નથી કરતા.જ્યારે આપણને આપણી જ એકલતા સાથે મનનું એકત્વ થતું જણાય ત્યાંથી જ મનની શાંતિ ઉદભવતી હોય છે.મનને શાંત કરવા ક્યાંય દૂર જવાની જરૂર નથી.મનને શાંત કરવા આપણે આપણા ઘરમાં બગીચો બનાવી શકીએ છીએ અને ત્યાં સમય વિતાવી શકીએ છીએ.લીલો રંગ ઘણો શાંતિમય હોય છે તે કાયમ શાંતિને આકર્ષે છે અને આ જ કારણ છે આપણું પ્રકૃતિના ખોળે જવું અને ત્યાં સમય વિતાવવો.
© મૈત્રી બારભૈયા
Comments
Post a Comment